વ્હાલા વાચકો,
સાદર જય જીનેન્દ્…
વાગડ સંસ્કાર દિપોત્સવી અંક આપને મળી ગયો હશે જે અંકમાં ઘણી જોડણી અને ભાષામાં ભુલો રહી જવા પામી છે, ભાષા વિદ્વાનો માફ કરે, મારી મર્યાદા હું સમજુ છું. છતાં આગળના અંકોમાં સુધારો થાય તથા નિયમિત પ્રકાશન થાય તેવા પ્રયાસો કરીશું.
વાગડ સંસ્કાર ની ટીમમાં સાહિત્યરસિક હસમુખભાઈનું સહતંત્રી તરીકે ટીમમાં આગમન અમારા માટે ઉત્સાહજનક છે, તેમના બહોળા અનુભવનો લાભ વાચકોને મળશે તેવા વિશ્વાસ સાથે તેમનું સ્વાગત છે. આ અંક ‘વડીલ” વિશેષાંક તરીકે પ્રકાશીત કરવાનું નકકી કર્યું છે. જેમા વડીલો (સ્ત્રી-પુરૂષ) ના ઉંમરના અનુભવોના નિચોડ સાથે તેમની અપેક્ષાઓ આકાંક્ષા ને ઉજાગર કરી સ્વાસ્થ્ય જાળવવાની સાથે મનોરંજન, યાત્રા (પ્રવાસો) આધ્યાત્મિક આનંદ સાથે પરિવાર સંતાનો સમાજ અને વ્યવસાય જેવા દરેક ક્ષેત્રમાં પોતાના રસો મુજબની મનગમતી પ્રવૃત્તિ મસ્તી પૂર્વકના સરસ સુઘડ જીવનની વિવિધતાઓની ઉપેક્ષા ન કરતા પોતે આત્મ વિશ્વાસ, આત્મ સન્માન પુર્વક જીવન જીવી શકશે તેવી આપણે સૌએ તેમને ખાત્રી આપવાની છે અને તેવા વાતાવરણનું ઘર-પરિવાર સમાજમાં નિર્માણ થાય તે જ આપણા સૌની ફરજ છે.
મોટા સમાજ દ્વારા યુવા સાહસિકો માટે દુબઇ એકપ્રોનું આગામી માર્ચમાં આયોજનમાં અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, સો જણથી પણ વધુ યુવાન યુવતીઓ ઉત્સાહભેર ભાગ લેવા તત્પર બન્યા છે, ત્યારે સમાજ દ્વારા યુવાઓના ઉત્સાહ ને વેગ મળે તેવા હેતુલક્ષી દુબઈ પ્રવાસના આયોજનની ઢેર સારી શુભકામનાઓ.. વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રમાં અમુલ પરિવર્તનો જોવા મળી રહયા છે. જૈન સમાજો તથા અન્ય સમાજો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે (IS,IPS) ની તૈયારી માટે સંકુલો ખોલવામાં ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના સમાજના યુવા-યુવતી વધુ માં વધુ સનદી અધિકારી બનવા તરફ પ્રોત્સાહીત કરી રહ્યા છે, આપણા સમાજના યુવાઓ પણ આ દિશામાં પોતાનું લક્ષ બનાવે તેવા વાતાવરણનું નિર્માણ સમાજ કક્ષાએ પોત્સાહન સાથે થાય તેવા નકકર પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. તો આગામી સમયમાં સારા પરિણામો મેળવી શકાશે.
હમણા આપણા સમાજમાં સોળ સંસ્કારોમાં બારમો લગ્ન સંસ્કાર ની સિઝન પુરબહાર ખીલી છે. લગ્નથી વ્યકિતનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે અને સામાજીક જીવનના આધારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધનામાં નિવૃત થાય છે. વિશ્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઈને કોઈ રીતે લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે. સમાજના સૌ નવદંપતિઓને અંતરમનથી અઢળક શુભકામનાઓ..
આગામી સમયમાં કચ્છની ધરતી પર તેરાપંથના યુગ પ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી એમની ધવલસેના એકસો થી વધુ સાધુ સાધ્વીજી સાથે ગુજરાત કચ્છ ભુજમાં પ્રથમ વખત “મર્યાદા મહોત્સવ” અર્થે બે માસ માટે પધારી રહયા છે. જે આપણા સૌ માટે ઉત્કંઠા સાથે આકર્ષણ કેન્દ્ર બનશે. આપણા સમાજના મુમુક્ષુ કેવિન સંઘવી નો દીક્ષા મહોત્સવ પણ તેમના સાનિઘ્યમાં યોજાશે. ત્યારબાદ કચ્છ વાગડ ના વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરી ધર્મની જયોત જગાવશે. સૌ કોઈ શ્રધ્ધાળુઓ યથાશકિત તેમની અમૃત દેશનાથી લાભાન્વિત થઇ શકશે.
કવિ સ્નેહી પરમારની એક સુંદર ગઝલ
“નખમાં સમાય એટલું આપ,
સુખ જીરવાય એટલું આપ,
નાનું ભલેને હોય પણ પાત્ર,
પૂરું ભજવાય એટલું આપ,
બીજું શું માપ હોય આંગણનું
રોજ વળાય એટલું આપ”
પ્રકાશ અનોપચંદ મહેતા
તંત્રીશ્રી